
રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
બીજી એપ્રિલે 'વર્લ્ડ ઓટિઝમ ડે' છે. વિશ્વમાં આ નવો વકરતો જતો રોગ છે. આ બીમારી બાળકોને થાય છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં કેન્સર કે એઈડ્સથી પીડાતાં બાળકો કરતાં ઓટિઝમના રોગથી પીડાતાં બાળકોની સંખ્યા વધુ છે. ઘણાં બધાને તો ઓટિઝમ શું છે તેની ખબર જ નથી. ભારતમાં અને વિશ્વમાં ઓટિઝમથી પીડાતાં બાળકોની સંખ્યા લાખ્ખોમાં છે. સમગ્ર વિશ્વમાં ૬૭ મિલિયન બાળકોને આ રોગ છે. જેમાંના ૮૦ લાખ બાળકો ભારતમાં છે.
આ રોગ અંગે વિશ્વભરમાં હવે જાગૃતિ આવી રહી છે. લોકોમાં આ રોગ વિષે જાણકારી વધે તે માટે તા.બીજી એપ્રિલના દિવસે ન્યૂયોર્ક ટાવર, લંડન બ્રીજ, દુબઈનું બુર્જ ખલીફા ટાવર,ઓસ્ટ્રેલિયાનું ઓપેરા ટાવર અને મલેશિયાના ટ્વિન ટાવરને બ્લૂ લાઈટથી પ્રકાશિત કરવામાં આવે છે.
કેટલીક વાર મા-બાપ ફરિયાદ કરતાં હોય છે. ડોક્ટર સાહેબ, મારું બાળક બે વર્ષનું થયું. બોલતું નથી. પોતાની દુનિયામાં છે,ઘરમાં બીજાં ત્રણ બાળકો ને પાડોશમાં બીજાં ચાર એમ કરીને સાત બાળકો છે, આ સાતેય બાળકોમાંથી કોઈની જોડે રમતો નથી. સાતમાંનાં બાળકો રમતાં હોય તો તેને જોતો પણ નથી ને એકલો એકલો કોઈ એક જ એક્ટિવિટી કર્યા કરે છે. નામથી બોલાવીએ તો સામું પણ જોતો નથી ને સતત હાથ હલાવ્યા કરે છે ને ચિચિયારીઓ પાડે છે. આ શબ્દો આંધ્રપ્રદેશના સુપર સ્પેશિયાલિસ્ટ સર્જ્યન ડોક્ટરના છે.
વર્ષોથી ઓટિઝમ પર કામ કરતા અમદાવાદના હોમિયોપથી નિષ્ણાત ડો. કેતન પટેલ કહે છે કે "ઓટિઝમ તે નાનાં બાળકોમાં જોવા મળતી ન્યૂરોલોજીને લગતી બીમારી છે. ઓટિઝમને ગુજરાતીમાં 'સ્વલીનતા' કહે છે. આ રોગથી પીડાતા બાળકને 'ઓટિસ્ટિક ચાઈલ્ડ' કહે છે.
જ્યારે તબીબી ભાષામાં આ રોગ ઓટિઝમ સ્પેક્ટ્રીમ ડિસઓર્ડરના નામે ઓળખાય છે. વિશ્વમાં દર એક હજાર બાળકે એક બાળક ઓટિઝમથી પીડાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ છે.
ઓટિઝમ બીમારી શું છે?
ઓટિઝમ ૨ થી ૨.૫ વર્ષનાં બાળકોમાં જોવા મળતી જ્ઞાનતંતુ, પાચનતંત્ર ને અંતઃસ્રાવી ગ્રંથિને અસર કરતી આ બીમારી બાળકને સ્વલીન રાખે છે. આ બીમારીથી પીડાતા બાળકને ઓટિસ્ટિક ચાઈલ્ડ કહે છે અને આ બીમારીને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવાય છે. વિશ્વમાં દરેક ૬ બાળકે ૧ બાળક આ ઓટિઝમ નામની બીમારીનો ભોગ બને છે, આમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં પાંચ ગણી જોવા મળી છે.
ઓટિઝમનાં લક્ષણો
બાળક દોઢથી બે વર્ષની ઉંમર સુધી બોલતું ન હોય. નજરથી નજર મિલાવવાનું તેમજ આંખથી સીધા સંપર્કમાં આવી શકતાં નથી. પોતાની ઉંમરનાં બાળકો સાથે ભળીને રમવા કરતાં એકલા રમવાનું પસંદ કરે છે.
કોઈ પણ એક પ્રકારની સ્થિતિમાં કલાકો સુધી બેસી રહે છે. જેમ કે, રમકડાંની ગાડીથી રમવું, બોલને કલાકો સુધી પોતાની પાસે રાખવો. સતત બાથરૂમમાં જઈ નળ ખોલી નાખવો.હાથને હલાવ્યા કરવા. હોર્ન, કૂકરની સીટી કે ફટાકડાના અવાજથી ડરીને પોતાના હાથ કાન પર મૂકી દે. માતાની કે અન્ય કોઈ વસ્તુ પાછળ અવાજ સાંભળી છુપાવવાનો પ્રયાસ કરે.હાયર એક્ટિવ હોય ત્યારે કૂદકો મારે, કારણ વગર હસ્યા કરે. પોતાને જ માર્યા કરે, પોતાના હાથને કે બીજાને દાંત મારીને બટકું ભરે.
ઓટિઝમ થવાનાં કારણો
આ બીમારી માટે કોઈ એક કારણ જવાબદાર નથી, વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ દરમિયાન આ પ્રકારનાં કારણો હોવાનું જણાવ્યું છે.
ગર્ભાવસ્થા દરમિયાન : માતા દ્વારા અજાણતા ગર્ભને હાનિકારક દવાનું સેવન, માતાના શરીરમાં ફોલિક એસિડની ઉણપ,ગર્ભાશયમાં ટોર્ચ નામનું ઇન્ફેક્શન, હાઇપોથાઇરોડિઝમ તથા માનસિક તણાવ, આઘાત, પ્રસૂતિ દરમિયાન બાળકને ઓક્સિજનનો અભાવ, જન્મ્યા પછી બાળકનું થોડી સેકન્ડો બાદ રડવું, ખેંચ આવવી.
બાળકના જન્મ બાદ : દવાની આડઅસર, ખેંચ આવવી, મોટાભાગના બાળકમાં એમએમઆર વેક્સિનેશન પછી બાળકમાં ઓટિઝમનાં લક્ષણો આવવાનું ચાલુ થયેલ જાણવા મળે છે.
જિનેટિકની ખામીથી ઓટિઝમ થતું હોવાનું કહે છે પણ તેમાં કોઈ ખાસ જનીન જાણવા મળ્યું નથી. બાળકના મગજમાં સેરોટોનીન તેમજ અન્ય ન્યુરો ટ્રાન્સમીટરમાં ખામી જણાય છે.
એન્વાયર્નમેન્ટલ પોલ્યુશનને પણ આ રોગના એપિડેમિક માટે જવાબદાર ગણવામાં આવ્યું છે. ૨૦૧૩ની સાલમાં દર ૬૦ બાળકે ૧ બાળક ઓટિઝમ ધરાવે છે. આ સંખ્યા દુનિયાભરમાં જન્મતા ડાયાબિટીસ, કેન્સર, એચઆઈવીની સંખ્યાના સરવાળા કરતાં વધારે છે.
ઓટિઝમની સારવાર
ડો. કેતન પટેલના મંતવ્ય અનુસાર એલોપથીમાં કોઈ સારવાર આ બીમારી માટે છે નહીં, બાળકોની હાઇપર એક્ટિવિટી કાબૂમાં રાખવા એકમાત્ર દવા રેસ્પીડોન વાપરવામાં આવે છે. ઓટિઝમમાં સૌથી વધારે દુનિયાભરમાં વપરાતી ટ્રીટમેન્ટમાં હોમિયોપથી સારવાર છે. હોમિયોપથી દવા, ખોરાકમાં નિયંત્રણ, કસરત જો આ ત્રણ નિયમોનું ડોક્ટરની સૂચના અનુસાર પાલન કરવામાં આવે તો ઓટિઝમવાળું પાંચ વર્ષ સુધીનું બાળક નોર્મલ સ્કૂલમાં ભણી શકે છે.
ઓટિઝમવાળા બાળકમાં ફંગસ હોવાથી તે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આવા બાળકને ઘઉં ને તેની બનાવટ જેવી કે રવો, મેંદો ને તેમાંથી બનતી વસ્તુ જેવી કે રોટલી, બિસ્કિટ, ઉપમા, બ્રેડ તેમજ બેકરીની વસ્તુ બંધ કરવી, દૂધ ને દૂધની બનાવટ જેવી કે દહીં, છાસ, માખણ, ચીઝ ને ઘી બંધ કરવાથી અને શરીરમાં ખાંડનું પ્રમાણ ઓછું કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવાના સમયમાં વધારો જોવા મળ્યો છે ને હાઇપર એક્ટિવિટી ઘટાડી શકાય છે. ચોકલેટ, પેપ્સી, કોક ને મેકડોનાલ્ડ,કેએફસીનાં જંકફૂડ પેકેટ આ બીમારીની તીવ્રતામાં વધારો કરવામાં જવાબદાર છે. તો તે આવા બાળકને સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ.
સ્વિમિંગ (તરણ) સાયકલિંગ, સ્કેટિંગ, દોડવાનું તેમજ અન્ય કસરતોથી ઓટિસ્ટિક બાળકોમાં સુધારો જોવા મળે છે.
એક બાળક ઓટિસ્ટિક હોય ને બીજું ન આવે તે માટે શું કરવું?
- જિનેટિક કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.
- ફોલિક એસિડની ગોળી શરૂ કરો.
- થાઇરોઇડ પ્રોફાઈલ કરાવવો જરૂરી રહે છે. ૪૦ વર્ષ કરતાં વધારે ઉંમર થઈ હોય તો બીજું બાળક લાવવાનું પ્લાનિંગ કરવું જોઈએ નહીં.
- ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત કસરત કરવી અને પ્રદૂષિત વાતાવરણથી દૂર રહેવું જોઈએ. એલોપથી કરતાં હોમિયોપથી સારવાર વધુ અસરકારક સાબિત થયાનાં વિશ્વમાં પ્રમાણ છે.
www.devendrapatel.in

No comments:
Post a Comment