Wednesday, May 8, 2013

જાણો વરિયાળીના ગુણોઃ આશ્ચર્યથી આંખો થશે પ્હોળી



amdavadis4ever@yahoogroups.com
મેરેથોન; આપણે આ દેશી-આરોગ્યદાયક પીણાને બદલે એસીડીટી-પિત્ત-વધારનારા કોલાનાં પીણા પીએ છીએ

ગુજરાતી બાળકોને જ્યારે પેપ્સી કે કોકા કોલાના શરીરને નુકસાન કરનારાં પીણા પીતાં જોઉં છું ત્યારે અફસોસ એ વાતનો થાય છે કે એ પીણા માત્ર તમને સ્વાદ આપે છે અને આડઅસર તરીકે ચામડીનાં રોગ આપે છે. ઉનાળામાં આપણું ગુણકારી અને ઔષધીય પીણું-વરિયાળીનું સરબત તમને અનેક રીતે તંદુરસ્તી આપે છે. ભાગ્યે જ કોઈ જાણે છે કે વરિયાળીનું ગ્રીક નામ મેરેથોન છે. ગ્રીસમાં જે પ્રખ્યાત મેરેથોનનું યુદ્ધ ખેલાયું તે પછી લાં...બી દોડની સ્પર્ધા માટે એ શબ્દ વપરાયો અને પછી વરિયાળીને જ ''મેરેથોન’’ કહેવા માંડ્યા, જ્યારે પણ કોઈ લાંબો પ્રવાસ કરીને થાકીને આવે ત્યારે તેમને વરિયાળીનું સરબત પવાતું. ગામડાંમાં બહારગામથી બળદગાડામાં લાંબી મુસાફરી કરીને જાનૈયા આવતા ત્યારે દીકરીનો બાપ વેવાઈઓને વરિયાળીનું સરબત પાતો. આજના શહેરી લોકોની સૌથી મોટી ફરિયાદ છે, જમ્યા પછી અને ખાસ તો રાત્રે વાળુ પછી ગેસ ચઢે છે. તેમને માટે વરિયાળીનું ચૂર્ણ (શેક્યા વગરની) સસ્તું ઔષધ છે. તુકીર્માં તો વરિયાળીની ચા પણ પીવાય છે. નાના બાળકોને જ્યારે પેટમાં ચૂંક આવે કે જમ્યા પછી કે ધાવ્યા પછી પેટમાં દુ:ખે ત્યારે તેને વરિયાળીનું સરબત અકસીર દવા બને છે. ઉનાળો બેઠો છે ત્યારે ફરીવાર-વરિયાળીની કથા કહું છું અને નવી વાતો પીરસું છું.

મારા હાથમાં ''કમ્પ્લીટ મધર’’ નામનું મેગેઝિન આવ્યું છે. જેમાં તો વરિયાળીના ચમત્કારી ગુણો લખ્યા છે. આંખના કંજક્ટીવાઈટીસનાં દર્દમાં અને જ્યારે સ્નાયુ દુખતા હોય ત્યારે (મસલ્સ સ્પાઝમ) વરિયાળીનું ચૂર્ણ ખાવાનું લખ્યું છે. બીટ, ગાજર અને વરિયાળીનું સરબત રતાંધળાપણું ન આવે તે માટે ગ્રીસમાં પીવાતું. ''જુઈસીંગ ફોરમ’’ નામનું મેગેઝિન એક નવી વાત લખે છે તે વધુ પડતી લાગે છે, પણ જાણવા જેવી છે. વરિયાળીના ચૂર્ણમાં મેંગેનીઝનું તત્ત્વ છે, તેથી પુરુષના સેક્સ હોર્મોનના ઉત્પાદનમાં મદદ કરે છે ''કમ્પ્લીટ મધર-મેગેઝિન કહે છે કે વરિયાળીનું સરબત 'પ્રોસ્ટેટની તકલીફવાળાએ નિયમિત પીવું જોઈએ. તાવ કે મેલેરિયા પછી લિવરને અસર થઈ હોય તો વરિયાળીનું સરબત ઉપયોગી છે. સુવાવડી સ્ત્રીએ વધુ દૂધ આવે તે માટે (લેક્ટેશનમાં) વરિયાળીનું ચૂર્ણ અને સરબત વાપરવા જેવું છે.

વરિયાળીને અંગ્રેજીમાં ફેનલસીડ્ઝ કહે છે. સંસ્કૃતમાં તેનું અતિયોગ્ય નામ મધુરિકા છે અને શતઆયુષિકા પણ નામ પાડેલ છે હિ‌ન્દી-ઉર્દૂમાં સૌફ કહે છે. અરબીમાં રસ-યાનઝ કે બાદીયાન, કન્નડમાં સોમપીણા-કાલુ, તમિળમાં શોમ્બુ-શોમ્ભુ, તેલુગુમાં જીલાકુરા અને બંગાળીમાં પાન મોંવરી કહે છે. મેડિસિનલ સિક્રેટ્સ ઓફ ફૂડમાં ડો. અમ્માન કહે છે કે વરિયાળીને શેક્યા વગર તેનું ચૂર્ણ ફાકવાથી કે તેનું મધમાં સરબત બનાવી પીવાથી એસીડીટી, ખાટા ઓડકાર અને કબજિયાત દૂર કરે છે. ડો. અમ્માન કહે છે કે અમુક નક્ષત્રોમાં વરિયાળીનું મધ સાથેનું સરબત પીવાથી આયુષ્ય વધે છે અને આંખનું તેજ વધે છે. તેથી જ કદાચ સંસ્કૃતમાં વરિયાળીને સત આયુષ્યદાતા કહેલ હશે. આજની મોટાભાગની કુંવારિકાઓ જંકફૂડ ખાય છે તેમ જ મરી-મસાલાવાળા ખોરાક ખાય છે અને ઉત્તેજનાવાળી ફિલ્મો કે ટી.વી.ના પ્રોગ્રામો જુએ છે તેમ જ વાસનાને દબાવે છે. જેને ડીસમેનોરિયા ઉર્ફે કષ્ટાર્તવ અથવા માસિક વખતે ભારે પીડા થાય છે તેમને માટે વરિયાળીની ફાકી શ્રેષ્ઠ છે. મધ સાથે તેનું સરબત ઉનાળામાં ખાસ પીવું.

મને બરાબર યાદ છે કે મહુવાની મુસ્લિમ-પીરની જગામાં એક ફકીર રહેતા હતા. તે મંત્રોથી સર્પ અને વીંછીનું ઝેર ઉતારતા. પણ પછી દર્દીને વરિયાળીનું સરબત પીવાનું કહેતા. પેશાબ અટકીને આવતો હોય તેવા દર્દીને ઉનાળામાં વધુ કષ્ટ પેદા થાય છે. ત્યારે વરિયાળીનું સરબત ખાસ પીવું. કુંવારિકાઓને ૧૩ની ઉંમર પછી ખીલ થાય તો વરિયાળીનું ચૂર્ણ ખાવું અને તેને સુખડ સાથેના લેપમાં વરિયાળીનો લેપ મોઢે લગાવવો, તેનાથી ચહેરાની ક્રાંતિ પણ સુધરે છે. આ લેખમાં પારસી લેખક ડો. જે.એફ. દસ્તુરનાં પુસ્તક 'મેડિકલ પ્લાન્ટ્સ ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન’’નો પણ સહારો લીધો છે. મને યાદ છે કે મહુવામાં તાજિયા નીકળતા ત્યારે તાજિયા સાથે મોટું તપેલું ભરીને વરિયાળીનું સરબત રખાતું જે તમામને પીવરાવાતું. ગાંધીજીના ચાહક નેચરોપેથ સ્વ. ડો. ખીમજી નરમનો પુત્ર વૈદ્ય વિદ્યુત વરિયાળીનું તૈયાર સરબત બનાવે છે.

આજે કુંવારિકાઓ જે મોટી વય સુધી પરણતી નથી અને ૧૩ની વયે માસિક આવવું શરૂ થાય છે તેને માટે વિસ્તારથી ઈરાનની સિરાઝ યુનિવર્સિ‌ટીના ત્રણ હકીમો ડો. નામાવર જેહરોમી, ડો. ટાર્ટીઝાદેહ અને ડો. ખબાનાદીદેહે વરિયાળીનો પ્રયોગ કરેલો. ઈરાનની કુંવારિકાઓને ડિસમેનોરિયા એટલે કે કષ્ટાર્તવની વ્યાપક તકલીફ હતી. એટલે ૭૦ જેટલી ૧પથી ૨૪ વર્ષની સિરાઝ યુનિવર્સિ‌ટી અને હાઈસ્કૂલની છોકરીઓ જે કષ્ટાર્તવની ફરિયાદ કરતી હતી અને તેમને એલોપેથિક દવાઓ નક્કામી નીવડતી હતી તેમના ઉપર પ્રયોગ કર્યો. આ તમામ સ્ત્રીઓએ વરિયાળીનું ચૂર્ણ અને સરબતનું સેવન કર્યું તો તેમના માસિક નિયમિત થઈ ગયાં.

આપણા ગુજરાતીઓ હવે જમ્યા પછી હાનિકારક સુગંધ અને ગળપણવાળા મુખવાસ ખાય છે. તેમણે માત્ર અને માત્ર કાચી વરિયાળીનો મુખવાસ જ ખાવો જોઈએ અને તે પણ ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ. વરિયાળીને શેકીને તેનું અપમાન ન કરવું. સિત્તર વર્ષ પહેલાં મારા વતન ઝાંઝમરના રામમંદિરમાં હું મહુવાથી ઉનાળાના વેકેશનમાં આવતો ત્યારે ડાયરો ભરાય કે પંચાયતમાં બેઠક મળે ત્યારે મહેમાનોને પીવા માટે હું પોતે વરિયાળી અને ખસખસ વાટીને, થોડી એલચી નાંખીને ડાયરાને પીવરાવતો. મોટે ભાગે મીટિંગોમાં લોકોનાં દિમાગ ઉછળે છે, એકબીજા ઉપર ગુસ્સો કાઢે છે. પણ જો તેને શરૂમાં વરિયાળીનું સરબત પાયું હોય તો દિમાગ સરખામણીએ ઠંડું રહે છે.

મુંબઈના મારા મિત્ર-સેક્સોલોજિસ્ટ કહે છે કે ઉનાળામાં પુરુષ-સ્ત્રીની કામોત્તેજના વધે છે, તેમણે કામશક્તિ વધારવા ખડીસાકર, વરિયાળી અને કાળી દ્રાક્ષનું સરબત પત્નીને હાથે બનાવરાવી પીવું જોઈએ. આપણે ત્યાં આરબો અને ઈરાનીઓ ૯૦ વર્ષ પહેલાં આવીને આપણને અનેક લીલી વનસ્પતિ અને ખાસ તો વરિયાળીનું સરબત બનાવવાની કળા શીખવી ગયા હતા. પણ આપણે આ દેશી-આરોગ્યદાયક પીણાને બદલે એસીડીટી-પિત્ત-વધારનારા કોલાનાં પીણા પીએ છીએ. કેરળમાં ત્રિવેન્દ્રમ નજીક નૈયરડેમ ખાતેના વિષ્ણુદેવાનંદ યોગાશ્રમમાં ''ટાઈમ’’ મેગેઝિનના લેઆઉટ આર્ટિ‌સ્ટ આવેલા તેને એસીડીટી અને ગુસ્સાવાળા સ્વભાવની ફરિયાદ હતી. તેમને દ્રાક્ષ અને વરિયાળીનું સરબત તેમ જ મેડિટેશનથી ફરિયાદ જતી રહી હતી.

-કાન્તિ ભટ્ટ

No comments:

Post a Comment